જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?
વસ્ત્રો સાદા જેણે પહેર્યાં સદા,
એને કિમતી કફન શા માટે?
જેને ચરણ કદી ના ફુલ ધર્યાં,
ફુલ હાર ગળામાં શા માટે ?
જેને જોવા કદી ના દિલ તડપ્યું,
એના રંગીન ફોટા શા માટે?
એક પ્રેમ સરિતા સુકાઇ ગઇ,
હવે કિનારે જાવું શા માટે?
જેના ચરણોમાં કદી ના નમ્યો,
એની છબીને વંદન શા માટે?
ધૂપસળી સમ જેનું જીવન હતું ,
હવે ધૂપ જલાવો શા માટે?
આંખોના તેજ બુઝાઇ ગયા,
હવે ઘીના દીવા શા માટે?
જેનું જીવન ગીતાનો સાર હતો,
હવે ગીતા વાંચન શા માટે?
જીવનભર સૌના હિત ચાહ્યાં,
એના મોક્ષની વાતો શા માટે?
મળે કદી જો જીવનમાં,
તો ઇશ્વરને મારે પુછવું છે.
સારા માનવની વૈકુંઠમાં
તને જરુર પડે શા માટે?
- ડો. દીનેશ શાહ
- From, http://layastaro.com/?p=628